ગ્રીસની પૌરાણિક માન્યતાઓ
From Wikipedia, the free encyclopedia
ગ્રીક પૌરાણિક કથાઓ પ્રાચીન ગ્રીસ સંબંધિત માન્યતાઓ અને પૌરાણિક કથાઓનું સંયોજન છે જે તેમના દેવો અને નાયકો, વિશ્વની પ્રકૃતિ અને તેની ઉત્પતી તથા તેમના પોતાના સંપ્રદાય અને રીતરિવાજોની પ્રક્રિયા વિશે છે. પ્રાચીન ગ્રીસમાં તે ધર્મનો હિસ્સો હતો. આધુનિક વિદ્વાનો તેને પુરાણકથા માને છે અને પ્રાચીન ગ્રીસમાં ધાર્મિક અને રાજકીય સંસ્થાઓ, તેની સભ્યતાને સમજવા માટે તથા પુરાણકથાઓ કઇ રીતે રચાય છે તેની પ્રકૃતિ સમજવા માટે તેનો અભ્યાસ કરે છે.[1]
ગ્રીક પૌરાણિક કથાઓમાં મોટા પ્રમાણમાં વર્ણનો, વાઝ પેઇન્ટિંગ અને વોટિવ ગિફ્ટ જેવી નિરૂપણકારી કળાના વિશાળ સંગ્રહનો સમાવેશ થાય છે. ગ્રીક પુરાણકથાઓમાં વિશ્વની ઉત્પતિ, વિશાળ વિવિધતા ધરાવતા દેવતાઓ, દેવીઓ, નાયકો, નાયિકાઓ અને અન્ય પૌરાણિક જીવોના જીવન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. પ્રારંભમાં આ કથાઓ મૌખિક-કાવ્યાત્મક પરંપરાથી પ્રચલિત થઇ હતી. આજે ગ્રીક પુરાણકથાઓને ગ્રીક સાહિત્યનો હિસ્સો ગણવામાં આવે છે.
ગ્રીક સાહિત્યના સૌથી જૂના અને જાણીતા સ્રોતમાં ઇલિયડ અને ઓડિસી જેવા મહાકાવ્યો સામેલ છે જે ટ્રોજન લડાઇની ઘટનાઓ વર્ણવે છે. હોમરના નિકટના સમકાલીન હોસિયોડની બે કવિતાઓ થિયોગોની અને ધ વર્ક્સ એન્ડ ડેઝ માં વિશ્વની ઉત્પતિ કઇ રીતે થઇ તેના પ્રસંગો, દિવ્ય સત્તાધીશોના આગમન, માનવ યુગના આગમન, માનવ દુઃખોની ઉત્પતિનું કારણ અને બલિદાન આપવાની પરંપરાનું વર્ણન કરવામાં આવ્યું છે. હોમેરિક હાઇમ્સમાં પણ પુરાણકથાઓ જાળવી રખાઇ છે જે એપિક સાઇકલના મહાકાવ્યોનો હિસ્સો છે. આ ઉપરાંત ગીત કાવ્યો માં, ઇસ પૂર્વે પાંચમી સદીની કરૂણાંતિકાઓમાં, હેલેનિસ્ટીક યુગના વિદ્વાનો અને કવિઓના લખાણમાં અને રોમન સામ્રાજ્યમાં થઇ ગયેલા લેખકો જેવા કે પ્લુટાર્ક અને પોસેનિયન્સના લખાણમાં તે જોવા મળે છે.
પુરાતત્વીય સંશોધનો પરથી ગ્રીક પૌરાણિક કથાઓ વિશે મુખ્ય વિગતવાર માહિતી મળે છે જેમાં દેવતાઓ અને નાયકોને ઘણી કળાકૃતિઓમાં સુશોભન તરીકે રજૂ કરાઇ છે. ઇસ પૂર્વે આઠમી સદીમાં માટીની ચીજ વસ્તુઓ પર ભૌમિતિક આકૃતિઓમાં ટ્રોજન ચક્રના પ્રસંગોથી લઇને હર્ક્યુલસના સાહસોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આર્કેઇક, ક્લાસિકલ અને હેલેનિસ્ટીક ગાળામાં હોમેરિક અને વિવિધ પૌરાણિક દૃશ્યો રજૂ થાય છે જે પ્રવર્તમાન સાહિત્યીક પૂરાવા ઉપરાંત વધારાની માહિતી આપે છે.[2] ગ્રીક પૌરાણિક કથાઓએ પશ્ચિમી સભ્યતાની સંસ્કૃતિ, કળા અને સાહિત્ય પર ભારે પ્રભાવ પાડ્યો છે અને પશ્ચિમી વારસા તથા ભાષાનો તે હિસ્સો છે. પ્રાચિન યુગથી લઇને અત્યાર સુધીના કવિઓ અને કલાકારોએ ગ્રીક પૌરાણકથાઓ પરથી પ્રેરણા મેળવી છે અને આ પૌરાણિક થીમમાં સમકાલિન મહત્વ ધરાવે છે.[3]