સારનાથ
From Wikipedia, the free encyclopedia
સારનાથ ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલ કાશીથી સાત માઇલ પૂર્વોત્તર દિશામાં, ગંગા અને વરુણા નદીના સંગમ નજીક આવેલું બૌદ્ધ ધર્મના લોકોનું પ્રાચીન તીર્થ છે. જ્ઞાન પ્રાપ્તિ કર્યા પશ્ચાત ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો. અહીંયાથી જ એમણે "ધર્મ ચક્ર પ્રવર્તન"નો આરંભ કર્યો હતો.
અહીંયા સારંગનાથ મહાદેવનું મન્દિર પણ આવેલું છે, જ્યાં શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મના લોકોનો મેળો ભરાય છે. સારનાથ જૈન તીર્થ પણ છે, જૈન ગ્રન્થોમાં આ સ્થળને સિંહપુર કહેવામાં આવ્યું છે. સારનાથ ખાતે જોવાલાયક સ્થળોમાં સમ્રાટ અશોકનો ચતુર્મુખ સિંહસ્તંભ, ભગવાન બુદ્ધનું મંદિર, ધામેખ સ્તૂપ, ચૌખંડી સ્તૂપ, રાજકીય સંગ્રહાલય, જૈન મંદિર, ચીની મંદિર, મૂલંગધકુટી તેમ જ નવીન વિહાર મુખ્ય છે. મુહમ્મદ ઘોરીએ આ સ્થળને નષ્ટ ભ્રષ્ટ કરી નાખ્યું હતું. ઇ. સ. ૧૯૦૫ના વર્ષમાં પુરાતત્વ વિભાગ તરફથી અહીં ખોદકામ પ્રારંભ કરવામાં આવ્યો હતો, એ સમયે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ઇતિહાસના વિદ્વાનોનું ધ્યાન અહીં ગયું. વર્તમાન સમયમાં સારનાથ લગાતાર પ્રગતિને પંથે અગ્રેસર છે.