મધ્યમહેશ્વર
ગોઉંદર ગામ, ઉત્તરાખંડ, ભારત મા સ્થિત હિંદુ મંદિર / From Wikipedia, the free encyclopedia
મધ્યમહેશ્વર અથવા મદમહેશ્વર (સંસ્કૃત: मध्यमहेश्वर, અંગ્રેજી: Madhyamaheshwar) ભગવાન શિવને સમર્પિત એક હિંદુ મંદિર છે, જે ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં આવેલા માનસૂના ગામ ખાતે આવેલ છે. સમુદ્રસપાટી થી 3,497 m (11,473.1 ft) જેટલી ઊંચાઈ પર આવેલ આ સ્થળનો, ગઢવાલ પ્રદેશમાં પંચકેદારનાં પાંચ શિવ મંદિરોની યાત્રા દરમિયાન ચોથા ક્રમના મંદિર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આ યાત્રામાં સમાવિષ્ઠ અન્ય મંદિરો: કેદારનાથ, તુંગનાથ અને રુદ્રનાથ ખાતે મંદિરોની મુલાકાત લીધા પછી પ્રથમ મધ્યમહેશ્વર અને ત્યારપછી કલ્પેશ્વર ખાતે મંદિરની યાત્રાળુઓ મુલાકાત લેતા હોય છે. વૃષભનો મધ્ય ભાગ (વચ્ચેનો ભાગ) અથવા પેટનો ભાગ અથવા નાભિ (દુંટી)ને ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ ગણવામાં આવે છે તેમ જ આ સ્વરૂપમાં ભગવાન શિવનું પૂજન આ મંદિર ખાતે કરવામાં આવે છે. આ મંદિર હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.[1]
મધ્યમહેશ્વર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
સ્થાન | માનસૂના, ગઢવાલ |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30°38′13″N 79°12′58″E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | પાંડવો, દંતકથા અનુસાર |
પૂર્ણ તારીખ | અપ્રાપ્ય |
મધ્યમહેશવર મંદિરની દંતકથા એ પંચકેદારની દંતકથાનો એક અભિન્ન ભાગ છે, જે દંતકથા અનુસાર પાંડવોએ મહાભારતના યુદ્ધ દરમિયાન તેમના પિતરાઈ બંધુ કૌરવોની હત્યા (ગોત્ર-હત્યા) તેમ જ પૂજારીઓની હત્યા (બ્રહ્મ-હત્યા)ના પાપનું પ્રાયશ્ચિત કરવાના પ્રયાસરૂપે આ સ્થળ ખાતે મંદિરની સ્થાપના કરી હતી. સંતો અને તેમના વિશ્વાસુ ભગવાન શ્રીકૃષ્ણની સલાહ મુજબ પાંડવોએ ભગવાન શિવ પાસે માફી માટે માંગ કરી હતી અને મોક્ષ મેળવવા તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રાથના કરી હતી. ભગવાન શિવ કુરુક્ષેત્ર યુદ્ધ દરમિયાન તેમની સાથે પાંડવોના આચારથી નારાજ હતા, આથી તેમણે પાંડવોને ટાળવા માટે વૃષભ (અથવા નંદી કે આખલો)નું રૂપ ધારણ કર્યું હતું અને હિમાલય પર્વતમાળાના ગઢવાલ પ્રદેશમાં આવી ગયા હતા. પરંતુ માફી માગવા આતુર પાંડવોએ ભગવાન શિવને ગુપ્તકાશીની પહાડીઓમાં વૃષભ સ્વરૂપમાં વિહરતા જોયા પછી બળજબરીથી વૃષભની પુંછડી તેમ જ પગ પકડવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તરત વૃષભ જમીનમાં અદ્રશ્ય થઈ ગયા અને ત્યારપછી પુનઃ ભગવાન શિવ પાંચ સ્થળોએ પ્રગટ થયા હતા; ખૂંધ (ઢેકો) સ્વરૂપે કેદારનાથ, બાહુ (હાથ) સ્વરૂપે તુંગનાથ ખાતે, મુખ (ચહેરા) સ્વરૂપે રુદ્રનાથ ખાતે, નાભિ (દુંટી) અને પેટ સ્વરૂપે મધ્યમહેશ્વર અને જટા (વાળ) સ્વરૂપે કલ્પેશ્વર ખાતે પ્રગટ થયા હતા. પ્રાયશ્ચિત માટે ઉત્સુક પાંડવો દ્વારા ભગવાન શિવના સાક્ષાત્કારના આ પાંચ સ્થળોએ વિવિધ સ્વરૂપોમાં મંદિરો બાંધવામાં આવ્યાં હતાં. ત્યાં તેમણે શિવની પૂજા કરી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આશીર્વાદ મેળવ્યા હતા.
આ મંદિર પર્વતની ધાર પર ઘાસનું મેદાન ધરાવતી જગ્યા પર ઉત્તર ભારતીય સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવેલ છે. અહીંથી ઉપરના ભાગમાં આશરે દોઢ કિલોમીટર દૂર આવેલ જૂનું મંદિર, જેને 'બુઢા-મદમહેશ્વર કહેવામાં આવે છે, તે એક કાળા પથ્થરનું નાનું મંદિર છે અને એક નાના સરોવરના તટ પર આવેલ છે. બુઢા મદમહેશ્વર મંદિર ખાતેથી ચૌખંભા શિખર સીધું જ જોઈ શકાય છે. વર્તમાન મંદિર ખાતે કાળા પથ્થરમાંથી નિર્મિત નાભિ આકારનું શિવ-લિંગ સ્થિત છે. ત્યાં અન્ય બે નાના મંદિરો, એક શિવ પત્ની પાર્વતીને સમર્પિત અને બીજું અર્ધનારીશ્વર (અર્ધ-શિવ અને અર્ધ-પાર્વતીની પ્રતિમા)ને સમર્પિત છે. પાંડવોમાંથી બીજા ક્ર્મના ભીમ દ્વારા આ મંદિર બનાવવામાં આવેલ છે અને તેણે અહીં શિવની પૂજા કરી હતી, એમ માનવામાં આવે છે. મુખ્ય મંદિરથી જમણી તરફ એક નાનું મંદિર આવેલ છે, જ્યાં હિંદુ દેવી સરસ્વતી માતા, કે જેની વિદ્યાની દેવી તરીકે પૂજા કરવામાં આવે છે, તેમની આરસમાંથી બનાવવામાં આવેલ પુનિત પ્રતિમા સ્થાપિત છે.[2]