બાપ્તિસ્મા (બૅપ્ટિઝમ)
From Wikipedia, the free encyclopedia
ખ્રિસ્તી ધર્મમાં, બાપ્તિસ્મા (બૅપ્ટિઝમ) (ગ્રીક શબ્દ βαπτίζω બૅપ્ટિઝો : "પાણીમાં ડુબાડવું", "સ્નાનવિધિ કરાવવો", એટલે કે, ધાર્મિક સ્નાન-પ્રક્ષાલન પરથી આવેલો શબ્દ છે)[2] એ પાણીના ઉપયોગથી કરવામાં આવતી ધાર્મિક વિધિ છે, જેના થકી વ્યક્તિને દેવળના સભ્ય તરીકે સ્વીકૃતિ આપવામાં આવે છે.[3] નવા કરાર મુજબ ખુદ ઈસુને પણ બાપ્તિસ્મા આપવામાં આવ્યા હતા.[4]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સૌથી પૂર્વકાલીન ખ્રિસ્તીઓમાં જોવા મળતા બાપ્તિસ્માના સામાન્ય વિધિમાં, ઉમેદવારને સંપૂર્ણપણે અથવા અંશતઃ પાણીમાં ડુબાડવામાં આવતો હતો.[5][6][7][8][9] બાપ્તિસ્મા આપવા માટે ઊંડી નદીનો ઉપયોગ કરતા બાપ્તિસ્ત (બાપ્તિસ્મા-દાતા) યોહાન આખા શરીરને પાણીમાં પલાળવાનું સૂચવે છે,[10] 3જી સદી પછીના ખ્રિસ્તી બાપ્તિસ્માના ચિત્રો અને પુરાતત્ત્વીય પુરાવાઓ ઉમેદવાર વ્યક્તિ પાણીમાં ઊભી હોય અને તેના શરીરના ઉપલા ભાગ પર પાણી રેડવામાં આવતું હોય તેવો સામાન્ય વિધિ સૂચવે છે.[11][12][13][14] હવે બાપ્તિસ્મા આપવાની અન્ય સામાન્ય પદ્ધતિઓમાં કપાળ પર ત્રણ વખત પાણી રેડવાનો સમાવેશ થાય છે.
સોળમી સદીમાં હુલ્ડ્રીચ ઝ્વિંગલિએ જ્યાં સુધી તેની અનિવાર્યતાને નકારી નહીં, ત્યાં સુધી મુક્તિ માટે અમુક અર્થમાં બાપ્તિસ્માને અનિવાર્ય લેખવામાં આવતું હતું.[15] બહુ આરંભથી ચર્ચ ઇતિહાસમાં બલિદાન/શહાદતને "રક્ત દ્વારા બાપ્તિસ્મા" પામવા તરીકે ઓળખવામાં આવે છે, જેથી જળથી બાપ્તિસ્મા ન પામ્યા હોય તેવા શહીદી વહોરનારાઓ બચાવી શકાય. પાછળથી, કૅથોલિક ચર્ચે ઇચ્છા-બાપ્તિસ્માને સ્વીકાર્યો, જેના અનુસાર જે લોકો બાપ્તિસ્મા માટેની તૈયારી કરતા હોય પણ જેઓ ખરેખર એ ધાર્મિક સંસ્કાર મેળવતાં પહેલાં મૃત્યુ પામે તેમને બચી ગયેલા માનવામાં આવે છે.[16]
કેટલાક ખ્રિસ્તીઓ, ખાસ કરીને ક્વેકરો અને મુક્તિફોજ, બાપ્તિસ્માને અનિવાર્ય લેખતાં નથી, અને ન તો તેઓ એ ધાર્મિક વિધિનું પાલન કરે છે. જે લોકો આ વિધિનું પાલન કરે છે, તેમાં પણ પદ્ધતિ અને બાપ્તિસ્મા આપવાના રૂપમાં તેમ જ આ ધાર્મિક વિધિની અગત્યતા અંગેની સમજણમાં તફાવતો જોવા મળે છે. મોટા ભાગના ખ્રિસ્તીઓ "પિતા, અને પુત્ર, અને પવિત્ર આત્માના નામે" (મહાન આયોગ (Great Commission) અનુસાર) બાપ્તિસ્મા ગ્રહણ કરે છે, પણ કેટલાક માત્ર ઈસુના નામે જ બાપ્તિસ્મા ગ્રહણ કરે છે. મોટા ભાગના ખ્રિસ્તીઓ શિશુઓને બાપ્તિસ્મા આપે છે;[17] બીજા અનેક એવું માને છે કે માત્ર આસ્થાવાનને અપાયેલ બાપ્તિસ્મા જ સાચા બાપ્તિસ્મા ગણાય. કેટલાક બાપ્તિસ્મા લેનાર વ્યક્તિને પૂરેપૂરી અથવા કમસે કમ અંશતઃ પાણીમાં ડુબાડવા પર ભાર મૂકે છે, જ્યારે બીજા કેટલાક બાપ્તિસ્મા લેનારી વ્યક્તિના માથા પરથી પાણી વહેતું હોય ત્યાં સુધી, પાણી દ્વારા કોઈ પણ રૂપે થતા સ્નાનને પૂરતું માને છે.
વ્યક્તિને દીક્ષા આપવામાં આવે, તેનું શુદ્ધિકરણ કરવામાં આવે, અથવા તેનું નામકરણ કરવામાં આવે તેવા કોઈ પણ ધાર્મિક વિધિ, કસોટી, અથવા અનુભવ માટે પણ "બાપ્તિસ્મા" શબ્દ વાપરવામાં આવે છે.[18] દીક્ષાકરણની અન્ય ધાર્મિક વિધિઓ માટે નીચે જોશો.