બકિંગહામ પેલેસ
From Wikipedia, the free encyclopedia
બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજાનું લંડન ખાતેનું સત્તાવાર નિવાસસ્થાન છે.[1] વેસ્ટમિન્સ્ટર શહેરમાં આવેલો આ મહેલ રાજ્યના પ્રસંગો અને રાજકીય આગતાસ્વાગતા માટે ઊભો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ઉજવણી અને કટોકટીના સમય વખતે બ્રિટનના લોકો માટે આ મહેલ રેલીનું સ્થળ રહ્યો છે.
આજના મહેલનાં મહત્વના ભાગો વડે બનેલી ઇમારત આરંભમાં બકિંગહામ હાઉસ તરીકે ઓળખાતી હતી જે 1703માં બકિંગહામના ઉમરાવ માટે બનાવવામાં આવેલું ટાઉનહાઉસ હતું અને આ ઇમારત લગભગ 150 વર્ષ સુધી ખાનગી માલિકી હેઠળ રહેલા સ્થળે બનાવવામાં આવી હતી. ત્યારબાદ 1761માં[2] તેને જ્યોર્જ IIIએ આ સ્થળને રાણી ચારલેટના ખાનગી નિવાસસ્થાન તરીકે મેળવ્યું અને તે "રાણીના ઘર" તરીકે ઓળખાતું હતું. 19મી સદી દરમિયાન તેમાં ફેરફાર કરવામાં આવ્યો, મુખ્યત્વે આર્કિટેક્ટ જોન નૅશ અને એડવર્ડ બ્લોર દ્વારા વચ્ચેના આંગણની આસપાસ ત્રણ ભાગ બનાવીને ઇમારતને વધુ મોટી બનાવવામાં આવી. આખરે 1837માં રાણી વિક્ટોરિયાની રાજપ્રાપ્તિ વખતે બકિંગહામ પેલેસ બ્રિટિશ રાજાનો સત્તાવાર શાહી મહેલ બન્યો. 19મી સદીના અંતભાગમાં અને 20મી સદીના આરંભમાં, ઇમારતના માળખામાં છેલ્લો મહત્વનો વધારો કરવામાં આવ્યો જેમાં પૂર્વતરફના મોખરાના ભાગનો સમાવેશ થાય છે જે એ પ્રખ્યાત ઝરૂખો ધરાવે છે કે જ્યાં શાહી પરિવાર બહાર ઉભેલી ભીડના અભિવાદન માટે ભેગો થાય છે. જો કે, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના બોમ્બને લીધે મહેલનું દેવઘર નાશ પામ્યું હતું; તે સ્થળે રાણીની ગૅલેરી બનાવવામાં આવી અને 1962માં તેને લોકો માટે શાહી સંગ્રહની કલાકૃતિઓના પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી.
19મી સદીના આરંભની ઇન્ટીરિયર મૂળ રચનાઓ પૈકીની ઘણી હજું પણ જળવાયેલી છે જેમાં બહોળો વપરાશ ધરાવતા ઉજ્જવળ રંગોભર્યા સ્કાગ્લિયોલા અને સર ચાર્લ્સ લોન્ગની સલાહના આધારે બનાવાયેલા વાદળી તથા ગુલાબી લેપિસનો સમાવેશ થાય છે. રાજા એડવર્ડ સાતમાંની દેખરેખ હેઠળ બેલે ઇપોક ક્રીમ અને સોનેરી રંગ વડે આ મહેલની પુનઃસજાવટની આંશિક કામગીરી થઇ હતી. મહેલના નાના સ્વાગત ખંડો ચીનની રિજન્સી શૈલીમાં સજાવવામાં આવ્યા છે જેનું રાચરચીલું અને ફિટીંગ્સ બ્રાઇગ્ટન ખાતે આવેલું રોયલ પૅવેલિયન તેમજ કાર્લટન હાઉસ ખાતેથી લાવવામાં આવ્યા છે. બકિંગહામ પેલેસનો બગીચો એ લંડનમાં આવેલો સૌથી વિશાળ ખાનગી બગીચો છે.
આ મહેલના સમર ઓપનિંગના ભાગરૂપે, પ્રત્યેક વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મોટાભાગના હિસ્સા દરમિયાન સત્તાવાર અને રાજ્ય સ્વાગત માટે વપરાતા સ્ટેટ રૂમ જાહેર જનતા માટે ખુલ્લાં રહે છે.