પિંગલી વેંકય્યા
ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી / From Wikipedia, the free encyclopedia
પિંગલી વેંકૈયા (૨ ઓગસ્ટ ૧૮૭૬[1][2] – ૪ જુલાઇ ૧૯૬૩) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી હતા. તેઓ સ્વરાજ ધ્વજની રચના માટે જાણીતા છે, જેનો ઉપયોગ મહાત્મા ગાંધી દ્વારા ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન કરવામાં આવ્યો હતો અને પછીથી સુરૈયા તૈયબજી દ્વારા ભારતના ધ્વજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો.[3] તેઓ પ્રાધ્યાપક, લેખક, ભૂસ્તરશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, કૃષિવિદ્ અને બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિ હતા.[4]
પિંગલી વેંકય્યા | |
---|---|
૨૦૦૯ની ટપાલ ટિકિટ પર પિંગલી વેંકય્યા | |
જન્મની વિગત | ૨૦ ઓગસ્ટ ૧૮૭૬/૮ ભટલાપેનુમારુ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન આંધ્ર પ્રદેશ, ભારત) |
મૃત્યુ | ૪ જુલાઈ ૧૯૬૩ (ઉં. ૮૪/૮૬) ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
અન્ય નામો | ડાયમંડ વેંકય્યા, પટ્ટી વેંકય્યા |
વ્યવસાય | પ્રાધ્યાપક, લેખક, ભૂસ્તરશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, કૃષિવિદ્ |
પ્રખ્યાત કાર્ય | ભારતીય રાષ્ટ્રધ્વજના રચનાકાર |
જીવનસાથી | રુક્મિનમ્મા |
ઓગણીસ વર્ષની ઉંમરે વેંકય્યાએ બ્રિટીશ ભારતીય સૈન્યમાં પ્રવેશ મેળવ્યો હતો અને બીજા બોઅર યુદ્ધ (૧૮૯૯–૧૯૦૨) દરમિયાન તેમને દક્ષિણ આફ્રિકામાં તૈનાત કરવામાં આવ્યા હતા. યુદ્ધ દરમિયાન જ્યારે સૈનિકોને બ્રિટનના રાષ્ટ્રધ્વજ યુનિયન જેકને સલામી આપવાની હતી ત્યારે વેંકય્યાને ભારતીયો માટે ધ્વજ રાખવાની જરૂરિયાત સમજાઈ ગઈ હતી.[5] વેંકૈયાએ ૧૯૦૬માં કલકત્તામાં એઆઈસીસીના અધિવેશનમાં હાજરી આપી ત્યારે કોંગ્રેસની સભાઓમાં બ્રિટિશ ધ્વજ ફરકાવવાના વિચારનો તેમણે વિરોધ કર્યો હોવાથી તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે ધ્વજની રચના કરવાની પ્રેરણા મળી હતી.[2]
૧૯૪૭માં પ્રાપ્ત થયેલી સ્વતંત્રતા પહેલાં ભારતીય સ્વતંત્રતા ચળવળના સભ્યો દ્વારા વિવિધ ધ્વજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પિંગલી વેંકૈયાએ ૧ એપ્રિલ ૧૯૨૧ ના રોજ ગાંધીજીની વિજયવાડા શહેરની મુલાકાત દરમિયાન રાષ્ટ્રધ્વજની રચના કરી મહાત્મા ગાંધીને તે અર્પણ કર્યો હતો.[6][7][8] વેંકય્યાનો ધ્વજનો પ્રથમ મુસદ્દો લાલ અને લીલા રંગમાં હતો. લાલ રંગ હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતો હતો અને લીલો રંગ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગાંધીજીના સૂચન પર વેંકય્યાએ ભારતમાં હાજર અન્ય તમામ સંપ્રદાયો અને ધર્મોનું પ્રતિનિધિત્વ કરવા માટે એક સફેદ પટ્ટી ઉમેરી હતી.[5] ૧૯૨૧થી કોંગ્રેસની તમામ સભાઓમાં વેંકય્યાના ઝંડાનો અનૌપચારિક ઉપયોગ કરવામાં આવે છે. ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ બંધારણ સભાની બેઠક દરમિયાન ધ્વજને તેના વર્તમાન સ્વરૂપમાં અપનાવવામાં આવ્યો હતો.[2][5][6]
વેંકય્યા એક ખેડૂત અને એક શિક્ષણવિદ્ હતા જેમણે મછલીપટ્ટનમમાં એક શૈક્ષણિક સંસ્થા સ્થાપી હતી. તેઓ ૧૯૬૩માં મૃત્યુ પામ્યા હતા.[5][4] ૨૦૦૯માં તેમની યાદમાં એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વર્ષ ૨૦૧૨માં મરણોપરાંત ભારત રત્ન માટે તેમના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જો કે આ પ્રસ્તાવ પર કેન્દ્ર સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી.[2][5]