ગાંઠિયો વા
From Wikipedia, the free encyclopedia
ગાંઠિયો વા, વાતરક્ત (અંગ્રેજી: ગાઉટ - Gout) એ એક એવો રોગ છે જેમાં સાંધામાં સોજાના ફરી ફરીને હુમલા થાય છે. આ સોજા લાલ, કુમળાં, ગરમ અને દુખાવો કરતા હોય છે.[1] આ દુખાવો ઝડપથી શરુ થાય છે અને મોટા ભાગના કિસ્સામાં આ સમય બાર કલાક કરતા ઓછો હોય છે. તે પૈકીના અડધા કિસ્સામાં પગના અંગુઠાના સાંધામાં સોજા હોય છે.[2] આ રોગ આગળ વધતા ટોફસ (સાંધામાં યુરિક એસિડની પથરી), મુત્રપિંડ (કિડની) માં પથરી, અથવા મુત્રપિંડની કાર્યક્ષમતા યુરિક એસિડના કારણે ઘટી જવાની સ્થિતિમાં પરિણમે છે.[3]
ગાંઠિયો વા થવાનું મુખ્ય કારણ લોહીમાં યુરિક એસિડનું સતત ઊંચું પ્રમાણ છે. આવું થવાનું કારણ ભોજન અને કેટલાક જનીનિક કારણોનો સંયોગ છે. યુરિક એસિડનું ઊંચું પ્રમાણ રહેવાથી તે સ્ફટિકમાં ફેરવાય છે જે સાંધા, સ્નાયુના છેડા, તેની આસપાસની પેશીઓમાં જમા થાય છે જેના કારણે ગાંઠિયો વાનો હુમલો આવે છે. જે લોકો દરરોજ માંસાહાર કરતા હોય અથવા દરિયાઈ જીવોનો ભોજન તરીકે ઉપયોગ કરતા હોય, બીયર પીતાં હોય, અથવા ભારે શરીર ધરાવતા હોય તેમનામાં ગાંઠિયો વા વધુ જોવા મળે છે. આ વાનું નિદાન યુરિક એસિડના સ્ફટિકની સાંધાના પ્રવાહીમાં હાજરી અથવા ટોફસમાં તેની હાજરી વડે ચોક્કસ કરવામાં આવે છે. વાના હુમલા વખતે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ સામાન્ય હોઈ શકે છે.[3]
ગાંઠિયા વાની સારવારમાં નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લામેટરી ડ્રગ્સ/દુખાવાની દવા (nonsteroidal anti-inflammatory drugs - NSAIDs), સ્ટીરોઇડ અને કોલ્ચીસીન તેના લક્ષણોમાં આરામ આપવા વપરાય છે. એક વાર હુમલો ચાલ્યો જાય એ પછી ખાણીપીણી અને જીવનક્રિયામાં ફેરફાર કરી યુરિક એસિડના પ્રમાણને ઘટાડી શકાય છે. જેઓને ફરી ફરીને હુમલા આવ્યા કરતા હોય એમને એલોપુરીનોલ અને પ્રોબેનેસીડ વડે લાંબા સમય માટે હુમલા અટકાવી શકાય છે. વિટામીન સી (ખાટ્ટા ફળો વગેરે) અને ઓછી ચરબી ધરાવતી દુધની વાનગીઓ આ રોગ અટકાવવામાં કદાચ મદદરૂપ નીવડી શકે.[4]
પશ્ચિમ દેશોમાં ૧થી ૨% લોકો તેમના જીવનમાં ગાંઠિયો વાનો અનુભવ કરે છે. હમણાનાં દાયકાઓમાં આ રોગ વધુ સામાન્ય થતો જાય છે. આમ થવાનું કારણ જોખમો જેવા કે ચયાપચાયને લગતા રોગો, લાંબુ આયુષ્ય અને ભોજનમાં ફેરફારો વગેરેમાં વધારો થવો છે. વૃદ્ધ પુરુષોમાં આ રોગ સૌથી વધુ જોવા મળે છે. ઐતિહાસિક રીતે આ રોગ "રાજાઓના રોગ" અને "ધનવાનોના રોગ" તરીકે ઓળખાતો હતો.[3][5] આ રોગની જાણ છેક પ્રાચીન ઈજીપ્તના સમયથી છે.[3]