કોરોનાવાયરસ રોગ ૨૦૧૯
સાર્સ કોરોનાવાયરસ ૨ (II) વડે મનુષ્યોમાં થતો શ્વસનનો રોગ / From Wikipedia, the free encyclopedia
કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ (COVID-19, કોવિડ-૧૯) એ સાર્સ કોરોનાવાયરસ ૨ (SARS-CoV-2) દ્વારા થતો ચેપી રોગ છે,[8] જે સાર્સ વાયરસ જોડે સામ્યતા ધરાવે છે.[9][10] સાર્સ કોરોનાવાયરસ ૨ ને અગાઉ નોવેલ કોરોનાવાયરસ (n-CoV) તરીકે ઓળખવામાં આવતો હતો.[11] આ રોગ ૨૦૧૯-૨૦માં કોરોનાવાયરસની મહામારી ફાટી નીકળવાનું કારણ છે.[12] આ વાયરસ વડે અસરગ્રસ્ત લોકોમાં સામાન્ય રીતે કોઇ લક્ષણો હોતા નથી અથવા તો તાવ, સુકી ઉધરસ, થાક અને શ્વાસની તકલીફ થઈ શકે છે.[5][13][14] ગળામાં સોજો, વહેતું નાક અથવા છીંક આવવી જેવા લક્ષણો ઓછા જોવા મળ્યા છે.[15] રોગના પરિણામે વધુ અશક્ત લોકોમાં ન્યુમોનિયા અને વિવિધ અંગોનાં નિષ્ફળ થવાની પણ શક્યતા રહેલી હોય છે.
આ લેખ વિશ્વમાં ફેલાયેલ કોરોનાવાયરસ રોગ વિશે છે. કોરોનાવાયરસ (વાયરસના સમૂહ) માટે કોરોનાવાયરસ અને ગુજરાતમાં કોરોનાવાયરસ માટે ગુજરાતમાં કોરોનાવાયરસ જુઓ. કોરોનાવાયરસ અંગે ફેલાયેલી ખોટી માહિતીઓ માટે ૨૦૧૯-૨૦ કોરોનાવાયરસના રોગચાળાને સંબંધિત ખોટી માહિતીઓ જુઓ. |
કોરોનાવાયરસ રોગ ૨૦૧૯ (COVID-19) | |
---|---|
અન્ય નામો | |
કોરોનાવાયરસ રોગનાં લક્ષણો | |
ઉચ્ચાર | |
ખાસિયત | અત્યંત જટિલ શ્વાસોચ્છ્વાસનો ચેપ |
લક્ષણો | તાવ, સૂકો કફ, શ્વાસની તકલીફ[5] |
જટિલ લક્ષણો | વાયરલ ન્યુમોનિયા, ARDS, કિડનીની નિષ્ફળતા |
કારણો | SARS-CoV-2 |
નિદાન પદ્ધતિ | rRT-PCR ચકાસણી, એન્ટિજન ચકાસણી, CT સ્કેન |
રોકવાની પદ્ધતિ | વારંવાર હાથ ધોવા, કફ ન ફેલાય તેની તકેદારી રાખવી, ચેપગ્રસ્તો અને શક્યત: ચેપગ્રસ્તોને અલગ રાખવા, એકબીજાથી અંતર જાળવવું |
સારવાર | લક્ષણની સારવાર અને સંભાળ |
દર્દીઓની સંખ્યા | ૪૩,૪૨,૫૬૫ નોંધાયેલ[6] |
મૃત્યુઓ | ૨,૯૬,૬૯૦[6](નોંધાયેલ દર્દીઓના ૬.૮%[7] જેટલા) |
COVID-19 મોટાભાગે ખાંસી અથવા છીંક વડે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં પ્રસરે છે.[16][17] લક્ષણો દેખાવાનો સમય સામાન્ય રીતે ૨ થી ૧૪ દિવસોની વચ્ચે હોય છે, જેમાં સરેરાશ ૫ દિવસનો સમય છે.[18][19][20] નિદાન માટેની સામાન્ય પદ્ધતિમાં નાકનું દ્રવ્ય અથવા ગળફાની તપાસ કરવામાં આવે છે, જે કેટલાક કલાકોથી ૨ દિવસ સુધીમાં પરિણામ આપે છે. લોહીની ચકાસણી કરીને પણ થોડા દિવસમાં પરિણામ મળી શકે છે.[21] વાયરસના લક્ષણો, જોખમી પરિબળો અને ન્યુમોનિયાના લક્ષણો દર્શાવતી ફેફસાના સીટી સ્કેનના સંયુક્ત આધાર પર પણ આ ચેપનું નિદાન થઈ શકે છે.[22]
વારંવાર હાથ ધોવા, ખાંસી હોય તેવા લોકોથી અંતર જાળવવું અને હાથ ધોયા વગર ચહેરાને સ્પર્શ ન કરવો એ આ રોગને રોકવા માટેના ઉપાય છે.[23] જ્યારે ખાંસી આવે છે ત્યારે નાક અને મોંને રૂમાલ અથવા કોણી વાળીને ઢાંકવાની ભલામણ કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ લોકોને ભલામણ કરી છે કે જેમને શંકા છે કે તેઓ વાયરસ ધરાવે છે તેઓ મોઢા પર ઢાંકવાનું માસ્ક પહેરે અને રૂબરુ ડોક્ટરની મુલાકાત લે. શંકાસ્પદ ચેપી લોકોની દેખભાળ લઇ રહેલા લોકો માટે પણ માસ્કની ભલામણ કરવામાં આવી છે.[24][25] [26] આ રોગમાં મૃત્યુનો દર ૧% થી ૩% ની વચ્ચે અંદાજવામાં આવે છે.[27][28]
WHO એ વર્ષ ૨૦૧૯-૨૦ના કોરોનાવાયરસ ફાટી નીકળવાની ઘટનાને આંતરરાષ્ટ્રીય કક્ષાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે.[29][30] ૭ માર્ચ ૨૦૨૦ સુધીમાં રોગનો ફેલાવો ૬ ખંડોના વિવિધ દેશોમાં ફેલાઇ ગયો હતો.[31] ૧૧ માર્ચ ૨૦૨૦ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી જાહેર કર્યો હતો.[32]
૨૦૨૧ની શરૂઆતથી વિવિધ રસી કાર્યક્રમો વિશ્વમાં શરૂ થયા છે. ભારતમાં કોવેક્સિન અને કોવિડશિલ્ડ રસીઓ પ્રાપ્ત છે.