કલ્પેશ્વર
From Wikipedia, the free encyclopedia
કલ્પેશ્વર ખાતે ભગવાન શિવને સમર્પિત એક હિંદુ મંદિર છે, જે સમુદ્રસપાટીથી 2,200 m (7,217.8 ft) જેટલી ઊંચાઈ પર ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલ પ્રદેશમાં મનોહર એવા ઉરગામ ખીણ પ્રદેશમાં આવેલ છે. આ મંદિરની સ્થાપનાની કડી પ્રાચીન દંતકથા અનુસાર હિંદુ ધર્મના મહાન કાવ્યગ્રંથ મહાભારતની કથાના નાયકો પાંડવો સાથે જોડાયેલ છે. ગઢવાલ પ્રદેશના કેદારખંડ ક્ષેત્રમાં પંચકેદાર યાત્રા દરમિયાન આ મંદિરની મુલાકાત પાંચમા અને અન્ય ચાર મંદિરો કેદારનાથ, તુંગનાથ, રુદ્રનાથ તથા મદમહેશ્વરની મુલાકાત કર્યા પછી છેલ્લા ક્રમે કરવાની હોય છે.[1][2][3] પંચકેદાર મંદિરોમાં કલ્પેશ્વર એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન મંદિર દર્શન અર્થે ખુલ્લું રહે છે. અહીં પથ્થરના નાના મંદિરમાં, એક ગુફા માર્ગ દ્વારા પ્રવેશ કરી, ભગવાન શિવની જટા (વાળ)નું પૂજન કરવામાં આવે છે. તેથી ભગવાન શિવને જટાધારી પણ કહેવામાં આવે છે. અગાઉ આ સ્થળની મુલાકાત લેવા માટે 12 km (7.5 mi) જેટલું અંતર નજીક ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલા હેલંગ ખાતેથી જવું પડતું હતું, પરંતુ હવે સડક માર્ગ દ્વારા ઉપર આવેલા લ્યારી ગામ સુધી જઈ શકાય છે, જ્યાંથી પગપાળા માત્ર 3.5 કિ. મી. જેટલું અંતર ચાલી કલ્પેશ્વર પહોંચી શકાય છે. અડધા કાચા અને અડધા પાકા એવા આ માર્ગ પર મોટરસાયકલ અથવા કાર દ્વારા જઈ શકાય છે, પરંતુ ચોમાસા દરમિયાન વરસાદને કારણે આ માર્ગને ભારે નુકસાન થાય છે, આથી નાના વાહન ચલાવવું સલાહભર્યું નથી.
કલ્પેશ્વર મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
રાજ્ય | ઉત્તરાખંડ |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 30°34′37.35″N 79°25′22.49″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | ઉત્તર ભારતીય સ્થાપ્ત્ય શૈલી |
નિર્માણકાર | પાંડવો |
પૂર્ણ તારીખ | અપ્રાપ્ય |